નાટિકાની પ્રસ્તુતિ : વિશ્વવિદ્યાલયનું વાતાવરણ સિયારામમય બન્યું
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહના ઉપલક્ષ્યમાં શ્રીરામોત્સવ ની ઉજવણી ૧૬/૦૧/૨૦૨૪ થી ૨૨/૦૧/૨૦૨૪ સુધી કરવામાં આવી રહી છે. ૧૮ જાન્યુઆરી એ એટલે કે શ્રીરામોત્સવ ના તૃતીય દિવસે સાંજે ૭ કલાકે નૃત્ય નાટિકા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરુઆત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો.કિશોરસિંહ ચાવડા, કુલસચિવ શ્રી ડો.રમેશદાન ગઢવી, શ્રીરામોત્સવ માં ઉપસ્થિત અતિથિ એવા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વરીષ્ઠ કાર્યકર્તા શ્રી બળવંતરાય લાપસીવાલા , સામાજીક કાર્યકર શ્રી જીવરાજ ધારુકાવાલા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના શ્રી ભૂપત ગઢવી , યુવક કલ્યાણ વિભાગના ઓ.એસ.ડી. ડો.પ્રકાશચંદ્ર પટેલ, હિન્દુ સ્ટડી વિભાગના કો-ઓર્ડીનેટર બાલાજી રાજે, સિન્ડિકેટ સદસ્ય શ્રી સંજય લાપસીવાલા અને શ્રી મહેન્દ્રસિંહ ચૌહાણ , વિવિધ વિભાગના વડાશ્રીઓ તેમજ વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ દ્વારા દીપપ્રજ્વલન અને સ્વાગત કરીને કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્ર્મનું સંચાલન પત્રકારત્વ વિભાગના કો-ઓર્ડીનેટર ડો.ભરત ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. આજ રોજ યોજાયેલા નૃત્ય નાટિકા કાર્યક્રમમાં અલગ અલગ ૧૨ સંસ્થાનો અથવા વિભાગ કે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શ્રી રામચંદ્ર ભગવાન ની થીમ ઉપર ૧૨ જેટલી નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી. ૫ મિનિટ થી લઈને ૪૦ મિનિટ સુધીના સમયગાળા દરમિયાન કરવામાં આવેલી નૃત્ય નાટિકા નિહાળીને ઉપસ્થિત હજારો લોકો ની સાથે સાથે યુનિવર્સિટીનું વાતવરણ રામમય બન્યું હતું. શ્રી કૈલાશ માનસ વિદ્યા મંદિર સંસ્થા દ્વારા શ્રી રામ ના જન્મ પહેલાથી લઈ ને શ્રી રામ વૈકુંઠ પધારે ત્યાં સુધીના કાલખંડ , યુનિવર્સિટીના એકવેટિક બાયોલોજી વિભાગ દ્વારા સીતા સ્વયંવર , નૃત્ય કલાશકિત સંસ્થા દ્વારા રામાષ્ટકમ્ , હિન્દુ સેવા સેના દ્વારા – લાઠી યુધ્ધ કલા થીમ, યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગ દ્વારા- યોગા એકટ અને ડાન્સ એકટ, નૃત્યાંજલી સંસ્થા દ્વારા – સીતા સ્વયંવર, સર કે.પી. કોમર્સ કોલેજ દ્વારા – મલ્લારી અને ભોરશંભો થીમ, જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશન વિભાગ દ્વારા શબરી અને ભગવાન શ્રી રામ થીમ, વિમલ તોરમલ પોદ્દાર બીસીએ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ૫૦ વર્ષ નો રામ મંદિરનો ઈતિહાસ થીમ, સપ્તક સંસ્થા દ્વારા રામ ભજન અને કે. ડી. ઈવેન્ટ દ્વારા શ્રી રામ કોન્સર્ટ થીમ પર ભક્તિમય નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯ જાન્યુઆરી એ જનજાતિ નૃત્ય, ૨૦ જાન્યુઆરી એ પ્રખ્યાત ગાયક કલાકાર હાર્દિક દવે ની સંગીત સંધ્યા અને ૨૧ જાન્યુઆરી એ ગુજરાતના લોકપ્રિય કલાકાર એવા ગીતાબેન રબારી ના લોકડાયરાનું અને બાદમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૨ જાન્યુઆરીના દિવસે રામરથયાત્રા બાદ અયોઘ્યામાં થનારા શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા જીવંત પ્રસારણ પણ કરાશે.