રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો પદવીદાન સમારોહ યોજાયો

કોલેજમાં મેળવેલા જ્ઞાનનો સ્વ માટે નહીં, રાષ્ટ્રનિર્માણ માટે ઉપયોગ કરજો    – રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

વિદ્યાશાખાઓના ૯૬ અભ્યાસક્રમોના ૧૭,૩૭૫ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત

  • વ્યક્તિએ આજીવન વિદ્યાર્થી બની રહેવું જોઈએ : સતત શીખતા રહેવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થતી રહે છે
  • ધર્મ એટલે કર્તવ્યપાલન : જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરો, જેથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા લે

 માત્ર અર્થ ઉપાર્જન કરવાની અપેક્ષા નહીં, પણ મેળવેલા જ્ઞાનનો સમાજના ભલા માટે સાર્થક ઉપયોગ કરવો જરૂરી: શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા

૮૧ પી.એચ.ડી. તથા ૪ એમ.ફિલ. ને પદવીઓ એનાયત

૨૧ ઋષિકુમારોએ શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી

સુરત: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૫મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું. વ્યક્તિએ આજીવન, જીવનની અંતિમ ક્ષણ સુધી વિદ્યાર્થી બની રહેવું જોઈએ, કારણ કે સતત શીખતા રહેવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થતી રહે છે એવી માર્મિક શીખ તેમણે આપી હતી.શિ

ક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલશ્રી અને મહાનુભાવોના હસ્તે ૧૨ વિદ્યાશાખાઓના ૯૬ અભ્યાસક્રમોના ૧૭,૩૭૫ યુવા છાત્ર-છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત ૮૧ પી.એચ.ડી. તથા ૪ એમ.ફિલ. ને પદવીઓ એનાયત થઈ હતી. સમારોહની વિશેષતા એ રહી કે સુરતની સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના ૧૧ ઋષિકુમારોએ શંખનાદ અને ૧૦ ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરૂકુળ પરંપરાને ઉજાગર કરી હતી.

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન ગુરૂકુલ પરંપરામાં પણ ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા-દીક્ષા અર્પણ કરી અંતમાં ‘सत्यं वद धर्मं चर स्वाध्यायान्मा प्रमदः’ સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતાં હતા. તેમણે પદવી ધારણ કરતા વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં-જ્ઞાન ઉપાર્જનમાં કયારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું.

સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે એમ ભારપૂર્વક જણાવતાં તેમણે ઉમેર્યું કે, વિશ્વશાંતિને હણનારા કંઈ કેટલાય આતંકીઓ પણ ઉચ્ચ ડિગ્રીઓ ધરાવે છે, છતાં આતંકનો માર્ગ પસંદ કર્યો છે. એટલે જ શિક્ષણ મૂલ્યનિષ્ઠ, સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદેહ હોવું જરૂરી છે.

રાજયપાલશ્રીએ વિદ્યાર્થીઓને મહામૂલી શીખ આપતાં જણાવ્યું હતું કે, વાદળ વર્ષારૂપે વરસીને જેમ ધરતીની તરસ છીપાવે છે તે જ રીતે પોતાના જ્ઞાનની વર્ષાથી જ્ઞાનપિપાસુ લોકોની પ્યાસ સંતોષજો. તેમણે માતૃદેવો ભવ: પિતૃ દેવો ભવ:, આચાર્ય દેવો ભવ: અને અતિથિ દેવો ભવ: ના આપણા સંસ્કૃતિ ભાવને હ્રદયમાં ઉતારવો જોઈએ. દીકરા-દીકરી વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યા વિના સંતાનોને રાષ્ટ્રના નિર્માણ માટે સુસંસ્કારિત બનાવવાની રાજયપાલશ્રીએ હિમાયત કરી હતી.

ગુજરાતની ભૂમિ બહુરત્ના છે એમ જણાવતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતની ધરતી સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધી, અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ, સમાજ સુધારક સ્વામી દયાનંદ સરસ્વતી, વીર નર્મદ જેવા મહાન પુરૂષોની ભૂમિ છે. દેશને આત્મનિર્ભર અને વિકસિત બનાવવા માટે કાર્યરત આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની ધરતીના સંતાન છે. ‘વિકસિત ભારત@૨૦૪૭’નો સંકલ્પ સાકાર કરવા માટે પરિશ્રમ કરનાર વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં જનહિતની યોજનાઓનો લાભ લઈ દેશના ૨૫ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. ભારત ૧૧મા ક્રમેથી આગળ વધી પાંચમા ક્રમની વિશ્વની સૌથી મોટી ઈકોનોમી ધરાવતો દેશ બન્યો છે.

વિદ્યાર્થીઓને ટકોર કરતાં તેમણે કહ્યું કે, જીવનના અમૂલ્ય વર્ષો વિદ્યાભ્યાસ કર્યા બાદ તમારે કારકિર્દી નિર્માણ માટે વિશાળ અને સ્વતંત્ર ફલકમાં કઠોર પરિશ્રમ-કુશળતા અને સામર્થ્યથી ઉજ્જવળ ભવિષ્ય કંડારવાનું છે. જ્ઞાન મેળવ્યા બાદ હવે એવું જીવન ઘડતર કરો જેથી આવનારી પેઢી તમારામાંથી પ્રેરણા લે. રાજ્યપાલશ્રીએ પદવી ધારણ કરનારા સૌ વિદ્યાર્થીઓ અને ખાસ કરીને સુવર્ણપદક મેળવનારા વિદ્યાર્થીઓની ભાવિ ઉજજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.

શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું કે, શિક્ષણ વ્યક્તિગત કારકિર્દી માટે જ પૂરતું નથી. માનવ કલ્યાણ-રાષ્ટ્ર હિતનો ભાવ પણ તેમાં રહેલો હોય છે. માત્ર અર્થ ઉપાર્જન કરવાની અપેક્ષા નહીં, પણ સમાજના ભલા માટે મેળવેલા જ્ઞાનનો સાર્થક ઉપયોગ કરવો જરૂરી છે. વિદ્યાર્થીઓએ એક કોચલામાં ન રહેતાં મલ્ટીટેલેન્ટેડ બની બહુઆયામી વ્યક્તિત્વ ખીલવવા તેમજ કસરતો દ્વારા શારીરિક અને માનસિક રીતે મજબૂત બનવા અનુરોધ કર્યો હતો.

 શ્રી પાનસરીયાએ શિક્ષણનું મહત્વ સમજાવતાં કહ્યું કે, પોઝિટીવ વિચાર અને ઉર્જા આપે તે વિદ્યા, ઉચાટ આપે તે વિદ્યા નથી હોતી. સદ્દભાવના, સભ્યતા, સમાજ અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતાના ગુણો શિક્ષણ આપે છે, એમ જણાવી પદવી મેળવનાર વિદ્યાર્થીઓને મેળવેલી વિદ્યાથી સમાજ, રાજ્ય અને રાષ્ટ્રની ઉન્નતિ માટે કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.

પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં યુનિવર્સિટીના કુલપતિ ડો.કે. એન. ચાવડાએ જણાવ્યું કે, નર્મદ યુનિવસિર્ટીએ શિક્ષણ અને પારદર્શી મેનેજમેન્ટથી આગવી ઓળખ ઉભી કરી છે. શિક્ષણના વિશાળ વટવૃક્ષ સમાન આ યુનિવર્સિટીએ એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ આઈડી બનાવવામાં અને સૌથી વધુ ક્રેડિટ પ્રાપ્ત કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. પી.એમ. ઉષા યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના વિકાસ માટે રૂ.૧૦૦ કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે, જેનો ઉપયોગ વિશ્વસ્તરીય શિક્ષણ સુવિધાઓ ઉભી કરવામાં કરાશે.

ડો.ચાવડાએ શાળા-કોલેજ અને યુનિવર્સિટીના સુરક્ષિત વાતાવરણમાંથી બહાર નીકળી કારકિર્દીની પડકારજનક સફર તરફ આગળ વધવા માટે સજ્જ બનવાની સાથે ઉપસ્થિત યુવાધનને નવા પડકારોનો સામનો કરીને સમાજ-દેશના હિત માટે સંકલ્પકૃત થવાની શીખ આપી હતી.

રાજ્યપાલશ્રીનું  અયોધ્યામાં નવનિર્મિત ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે કુલસચિવશ્રી આર.સી. ગઢવી, પરીક્ષા નિયામક શ્રી એ.વી.ધડૂક, વિભાગીય વડાઓ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, કોલેજોના આચાર્યશ્રીઓ સહિત પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

— વીર નર્મદ યુનિવર્સિટીએ તેના ૫૫ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર મરણોપરાંત પી.એચ.ડી. ડિગ્રી એનાયત

નર્મદ યુનિ.ના ૫૫માં પદવીદાન સમારોહમાં બરફીવાલા કોલેજના આસિ. પ્રોફેસર સ્વ.મોહિતકુમાર પ્રકાશચંદ્ર પટેલને મરણોપરાંત પી.એચ.ડી.ની ડિગ્રી આપવામાં આવી હતી. રાજ્યપાલશ્રીના હસ્તે આ પદવી તેમના જોડિયા દીકરા તીર્થ અને તથ્યએ સ્વીકારી હતી.

નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.એન.ચાવડાના માર્ગદર્શન હેઠળ વર્ષ-૨૦૨૦ માં સ્વ.મોહિતકુમાર પટેલ પ્લાસ્ટિક વિષય પર પીએચ.ડીનો અભ્યાસ કરી રહ્યા હતા. અભ્યાસ દરમ્યાન તમામ સંશોધન પૂર્ણ કરીને પીએચ.ડી.નો થીસીસ પણ તૈયાર કરી લીધો હતો. આ દરમ્યાન જ તેમને બ્રેઈન સ્ટોક આવતા સારવાર દરમ્યાન તેમનું દુઃખદ અવસાન થયુ હતુ. યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સીલ દ્વારા માનવતાવાદી અભિગમ દાખવીને મરણોતર પીએચ.ડીની ડિગ્રી એનાયત કરવાનો નિર્ણય લેવાયો હતો. જેથી આજે સમારંભમાં સ્વ.પ્રોફેસરના બે સંતાનોને સ્ટેજ પર બોલાવીને પિતાજીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *