“સમાજ પરિવર્તનમાં પ્રબુદ્ધ નાગરિકોની ભૂમિકા” એ વિષય પર ભરૂચ ખાતે પ્રબુદ્ધ નાગરિકોની ગોષ્ઠિ યોજાઈ
સ્વતંત્ર દેશમાં નાગરિક કર્તવ્યનું પાલન એ જ દેશભક્તિનું પ્રગતિકરણ.- સર સંઘચાલકજી મોહન ભાગવતજી
ભરૂચ:- શ્રી રેવા સેવા સમન્વય સમિતિ-ભરૂચ દ્વારા *સમાજ પરિવર્તનમાં પ્રબુદ્ધ નાગરિકોની ભૂમિકા* એ વિષય પર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ સભાગૃહ, ઝાડેશ્વર ખાતે પ્રબુદ્ધ નાગરિકોની ગોષ્ઠિ યોજાઈ હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલકજી પૂ. મોહન ભાગવતજીએ સ્વતંત્ર દેશમાં નાગરિક કર્તવ્યનું પાલન એ જ દેશભક્તિનું પ્રગતિકરણ કહેવાય. તેમણે આહવાન કર્યું હતું કે સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધનથી સંસ્કાર સિંચન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી ભાવ જાગરણ અને નાગરિક કર્તવ્યબોધના આધાર પર સમાજમાં રહેલી સજજન શક્તિ સંગઠિત થઈ કાર્યમાં ગતિશીલ બની સમાજ પરિવર્તનના કાર્યમાં કામે લાગે. તેમણે ઉમેર્યું હતું કે સમાજમાં રહેલા જ્ઞાતિ જાતિના ભેદને દૂર કરવા આચરણ દ્વારા વિશેષ પ્રયાસો થાય, સજ્જન શક્તિ નું નેટવર્ક ઊભું થાય એવા વિશેષ પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે સમાજમાં સેવા, સ્વાસ્થ્ય, પર્યાવરણ, કલા, સાહિત્ય, લેખન, ઉદ્યોગ અને સમાજ પરિવર્તનના ક્ષેત્રમાં 120 થી વધુ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહી પોતાના દ્વારા ચાલતા પ્રકલ્પો વિશે વિચાર મંતવ્યો રજૂ કર્યા હતા.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી મંડળના સદસ્ય અને પૂર્વ સરકાર્યવાહ પૂ. ભૈયાજી જોશીએ વિષય પ્રસ્તાવનામાં જણાવ્યું હતું
કે દુનિયાની સહુથી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાના આપને વાહક હોઈ સમયાંતરે સમાજ જીવનમાં આવતા દોષોને કારણે ઉદ્ભવતી સમસ્યાનું સમાધાન પણ સમાજની સજ્જન શક્તિ જેવી કે આધ્યાત્મિકતા, શિક્ષણ, કલા અને ઉદ્યોગ શક્તિના આધાર પર જ નિરાકરણ લાવવાની આપની પરંપરા રહી છે, સમાજના દરેક વ્યક્તિનું જીવન સંસ્કારીત બને અને એના થકી સમગ્ર સમાજ સંસ્કારિત બનશે. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય, પશ્ચિમ ક્ષેત્રના અને વડોદરા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ભરૂચ જિલ્લાના કાર્યકર્તાબંધુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.