સામાન્ય પ્રવાહમાં ધોરણ ૧૧ અને ૧૨ માટે નિયમિત વિદ્યાર્થી તરીકે હાલ નોંધાયેલા ન હોય અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક (સામાન્ય પ્રવાહ ) નો અભ્યાસ કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે GSOS માં રજીસ્ટ્રેશન શરૂ
ભરૂચ:રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ની સંકલ્પનાને અનુરૂપ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિયમિત વિદ્યાર્થી તરીકે દાખલ થવા ઇચ્છતા ન હોય તથા વિવિધ કારણોસર શાળા છોડી જતાં બાળકોને ઉમર, સમય કે સ્થળના બાધ સિવાય અધૂરૂ શિક્ષણ પૂરૂ પાડવા અને તેવા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરૂ પાડવાના હેતુસર ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) ના માળખામાં ફેરફાર કરવામાં આવેલ છે. વર્ષ : ૨૦૨૩-૨૪ થી વિદ્યાર્થીઓ માધ્યમિક વિભાગમાં ધોરણ ૯ અને ૧૦ નો તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના સામાન્ય પ્રવાહમાં ધોરણ ૧૧ અને ૧૨ માટે નિયમિત વિદ્યાર્થી તરીકે હાલ નોંધાયેલા ન હોય અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક (સામાન્ય પ્રવાહ ) નો અભ્યાસ કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે GSOS માં રજીસ્ટ્રેશન શરૂ થયેલ છે.
GSOS માં વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન અને પાઠયપુસ્તકો તથા અભ્યાસ માટે તમામ સેવા નિ:શુલ્ક રહેશે. GSOS ખાતે નોંધાયેલ વિદ્યાર્થીઓ માટે ધોરણ ૯ થી ૧૨ ની પરીક્ષા ફી બોર્ડ દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવે તે મુજબની રહેશે. દિવ્યાંગ (CWSN) વિદ્યાર્થીઓ અને કન્યાઓ માટે પરીક્ષા ફી માફી રહેશે. રજીસ્ટ્રેશન માટેની પાત્રતા ધોરણ ૯ માટે જે તે શૈક્ષણિક વર્ષની પહેલી જૂનના રોજ ૧૩ (તેર) વર્ષ પૂર્ણ કરેલ વિદ્યાર્થી. ધોરણ ૧૦ માટે જે તે શૈક્ષણિક વર્ષની પહેલી જૂનના રોજ ૧૪ (ચૌદ) વર્ષ પૂર્ણ કરેલ વિદ્યાર્થી. ધોરણ ૧૧ (સામાન્ય પ્રવાહ) માટે ધોરણ ૧૦ પાસ કરેલ વિદ્યાર્થી. ધોરણ ૧૨ (સામાન્ય પ્રવાહ) માટે ધોરણ ૧૦ પાસ કરેલ હોય તે પરીક્ષા વર્ષથી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા સુધી બે વર્ષ જેટલો સમયગાળો થતો હોય તેવા વિદ્યાર્થી.
જિલ્લા કક્ષાએ GSOS અંતર્ગત કરવાની થતી કામગીરી સંદર્ભે આજે તા.૧૬/૦૯/૨૦૨૩ ના રોજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મુકામે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કે.એફ.વસાવા ના અધ્યક્ષ સ્થાને જિલ્લાના નોડલ અધિકારીશ્રી અને દરેક તાલુકાના બીઆરસીશ્રીઓ તથા જિલ્લાના GSOS માટેના સ્ટડી સેન્ટરની શાળાના આચાર્યશ્રીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં GSOS અંતર્ગત કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને નિયમિત વિદ્યાર્થી તરીકે દાખલ થવા ઇચ્છતા ન હોય તથા વિવિધ કારણોસર શાળા છોડી ગયેલ બાળકોને શોધીને ધોરણ ૯ થી ૧૨ નો તેઓ અભ્યાસ કરે તેવા પ્રયત્નો કરવા અંગે ચર્ચા કરવામા આવી અને તે અંગે કરવાની થતી તૈયારીની સમીક્ષા કરવામાં આવી. ધોરણ ૮ પછી અભ્યાસ છોડી જનાર જે તે વિસ્તારના બાળકોનું પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકશ્રીઓની મદદથી GSOS માં રજીસ્ટ્રેશન થાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી.
સ્ટડી સેન્ટરની શાળાના આચાર્યશ્રી અને તાલુકાનાં બીઆરસીશ્રીની સંપર્ક નંબર સાથીની માહિતી આ સાથે સામેલ છે. જે વિદ્યાર્થીઓ GSOS અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તેઓ આ સંપર્ક નંબર રાજીવભાઇ એચ.પટેલ (ઝઘડિયા)- ૯૪૨૬૫૬૬૮૯૭, વિજયકુમાર એન.પટેલ(અંક્લેશ્વર)- ૯૬૩૮૪૧૩૨૪૫, અરવિંદકુમાર એમ.વાઘેલા(વાલીયા)- ૮૧૪૦૮૨૦૧૪૨, ખ્યાતીબેન ડી.મહેતા(વાગરા)- ૯૫૭૪૭૫૬૧૬૨, સુધાબેન વી.વસાવા(નેત્રંગ)- ૮૪૬૯૧૫૬૫૦૨, આસીફભાઇ એ. પટેલ(આમોદ)- ૯૪૨૭૫૮૪૧૮૮, અશ્વિનભાઇ પઢિયાર(જંબુસર)- ૯૭૨૬૭૧૦૮૫૨, અશોકભાઇ પટેલ(હાંસોટ)- ૯૯૦૪૦૪૭૯૩૧, વિરેન્દ્રભાઇ સોલંકી(ભરૂચ)- ૯૬૬૨૦૫૫૨૬૮ પર સંપર્ક કરી આગળની કાર્યવાહી કરી શકશે એવુ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવેલ છે.