વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય, સુરતના ગણિતશાસ્ત્ર વિભાગના એસોસીએટ પ્રોફેસર ડો. દેવભદ્ર વી. શાહની વર્ષ 2024 માટે રાષ્ટ્રીય કક્ષાએ જાણીતી સંસ્થા ‘ગુજરાત ગણિત મંડળ’ ના પ્રમુખ તરીકે વરણી થયેલ છે. તેમની આ સિધ્ધિ બદલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ના માનનીય કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા, કુલસચિવશ્રી ડૉ. રમેશદાન ગઢવી તથા સમગ્ર યુનિવર્સિટી પરિવાર ડૉ. દેવભદ્ર શાહને હાર્દિક અભિનંદન પાઠવે છે. ડૉ. દેવભદ્ર શાહની આ સિદ્ધિ બદલ કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા તથા કુલસચિવશ્રી ડૉ. રમેશદાન સી. ગઢવી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
33 વર્ષની શૈક્ષણિક કારકિર્દીમાં, વર્ષ 2010 થી 2018 ના સમયગાળા માટે ગુજરાત ગણિત મંડળના મંત્રી તરીકે તથા પ્રો. એ. એમ. વૈદ્ય ફાઉન્ડેશનનાં કન્વીનર તરીકે ડૉ. દેવભદ્ર શાહે સેવાઓ આપી હતી. આ ઉપરાંત ગણિતના વિખ્યાત સામયિક ‘સુગણિતમ’ ના મુખ્ય તંત્રી તરીકે અને તે ઉપરાંત અન્ય કેટલીયે સામયિકોના તંત્રી મંડળમાં ડૉ. શાહ સેવા આપી રહ્યા છે. તેઓએ રાષ્ટ્રીય કક્ષાએ 150 થી વધુ વ્યાખ્યાનો આપેલ છે અને ૯૦ જેટલા સંશોધન પત્રો પ્રકાશિત કરેલ છે. તેઓએ ૬ વિશિષ્ટ સન્માનો પણ પ્રાપ્ત કર્યો છે.ગુજરાત ગણિત મંડળ ગણિતના પ્રચાર અને પ્રસાર માટે કાર્ય કરતી ગુજરાતની સૌથી જુની સંસ્થા છે, જેની સ્થાપના વર્ષ ૧૯૬૩ માં વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક ડૉ. પી.સી.વૈદ્યએ કરી હતી. વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ગણિતમાં રસ ધરાવનાર દરેક માટે વિભિન્ન કાર્યક્રમો, સ્પર્ધાઓ, અધિવેશનો, વ્યાખ્યાનોનું આયોજન કરીને ફક્ત ગુજરાતમાંજ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં ગુજરાત ગણિત મંડળે પોતાનું આગવુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને આમ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય પરિવારનું પણ માન વધ્યું છે તે ગૌરવની વાત છે.