સુરત જિલ્લાના ૨૩૪ ગામ સંગઠનોને રૂ.૧૫૫૫.૪૦ લાખ કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ અપાયું

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા ‘મિશન મંગલમ’ યોજનાથી બદલાયુ ગ્રામીણ મહિલાઓનું જીવન

સુરત જિલ્લામાં કુલ ૫૭૨૧ જુથોને રિવોલ્વીંગ ફંડ રકમ પેટે રૂા. ૬૪૬ લાખની માતબર રકમ અપાઈ

 

સુરત: મહિલા સશક્તિકરણ યોજના હેઠળ ગામડાની મહિલાઓને પગભર કરવા માટે મિશન મંગલમ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં મહિલાઓના બેંકના ખાતા ખોલવા, સખી મંડળો બનાવવા, ધિરાણ અપાવવા જેવી કામગીરી યોજના હેઠળ કરવામા આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ મહિલાઓના આર્થિક અને સામાજિક ઉત્કર્ષ માટે ૨૦૧૦માં મિશન મંગલમ યોજના સહિત અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે.

          મિશન મંગલમ યોજનામાં ગ્રામીણ ગરીબ કુટુંબની મહિલાઓને જૂથોમાં સંગઠિત કરી બચત અને આંતરિક ધિરાણનો અભિગમ અપનાવે એમ સમાન ઉદ્દેશ્ય અને આર્થિક જરૂરિયાત ધરાવતી બહેનો એકત્રિત થાય છે. આમ, એક સખી મંડળ (૧ જુથની ૧૦ બહેનો) સંગઠિત થઈ સ્વસહાય જૂથ બનાવે છે. તેઓનું ક્ષમતાવર્ધન કરી જૂથોને સક્ષમ કરવામાં આવે છે. પ્રારંભિક તબક્કે તેઓને રિવોલ્વીંગ ફંડ (રૂ.૩૦,૦૦૦), આપવામાં આવે છે. ત્યારબાદ ગ્રામ્ય કક્ષાએ આવા ૧૦ સખી મંડળોનું એક સંગઠન જેને ગામ સંગઠન કહેવાય છે. જેમાં ૧૦ સખી મંડળો એટલે કે ૧૦૦ બહેનોને જોડવામાં આવે છે. અને તેમણે આજીવિકા અને કોઈ પણ પ્રકારનો ગૃહઉદ્યોગ શરૂ કરવા માટે સરકાર તરફથી એક ગામ સંગઠનને કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે રૂ.૧૫ લાખ સુધીની સહાય આપવામાં આવી રહી છે.

           મહિલાઓની આજીવિકા અને ઉત્થાન માટે શરૂઆતમાં બેંક તરફથી રૂ.૧.૫ લાખની લોન ૭ ટકા વ્યાજ દરે આપવામાં આવે છે. તેમજ રેગ્યુલર હપ્તો ભરતા તેમણે બીજા વર્ષે ૨ લાખ પછીના આવનાર વર્ષોમાં રૂ.૨૦ લાખની લોનમાં સ્ટેમ્પ ડયુટી માફી આપી આજીવિકા પુરી પાડવામાં મદદરૂપ થઈ રહી છે.

           સુરત જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (મિશન મંગલમ) યોજના અંતર્ગત સુરત જિલ્લામાં ૧૦૯૦૩ સ્વસહાય જૂથોની આજ સુધી રચના કરવામાં આવેલ છે.જેમાં ૧૧૦૯૯૯ મહિલાઓ વિવિધ પ્રવૃત્તિઓ સાથે આજીવિકા માટે જોડાયેલ છે.બેંકો દ્વારા ૬૨૦૦ જેટલા જૂથોને રૂા.૬૨ કરોડ જેટલુ ધિરાણ આપવામાં આવ્યું છે.

             સુરત જિલ્લામાં કુલ ૫૭૨૧ જુથોને રિવોલ્વીંગ ફંડ રકમ પેટે રૂા. ૬૪૬.૦૧ લાખ જેટલી માતબર રકમ આપવામાં આવી છે. અંદાજે ૩૭૭૫ સ્વસહાય જૂથ વિવિધ પ્રવૃતિઓ સાથે જોડાઈ આજીવિકા મેળવી રહી છે. સુરત જિલ્લામાં અત્યાર સુધી ૩૯૨ ગામ સંગઠનની રચના કરવામાં આવી છે. જેમાં ૨૩૪ ગામ સંગઠનને ૧૫૫૫.૪૦ લાખ કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે સહાય આપવામાં આવી છે.

             સુરત જિલ્લામાં આ ૨૦૨૩-૨૪ના વર્ષમાં ૭૨૯ અને આજ દિન સુધી ૯૦૨૮ સખી મંડળની બહેનોને આજીવિકા લક્ષી તાલીમ આપી કૃષિ સખી, પશુ સખી, બેન્ક સખી, વન સખી, મત્સ્ય સખીઓ બનાવી નોકરીઓનું નિર્માણ કરવામાં આવે છે.RSETI દ્વારા સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કરવા તેમજ આજીવિકા માટે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા તાલીમ આપી રોજગારીની તકો ઊભી કરવામાં આવે છે.

           સખી મેળા, સરસ મેળા, શક્તિ મેળાનું આયોજન કરી સખી મંડળની બહેનો દ્વારા બનાવેલ ચીજોનું પ્રદર્શન તેમજ વેચાણ માટે સરકારશ્રી દ્વારા નિ:શુલ્ક સ્ટોલ આપી તેઓને આર્થિક રીતે સરભર બનાવવા ઉપયોગી બની રહી છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન થકી સખી મંડળની બહેનોએ શૂન્યમાંથી સર્જન કરી આત્મનિર્ભર નારીથી આત્મનિર્ભર ગુજરાતની પરિકલ્પનાને સાચા અર્થમાં સાકાર કરી છે.

 

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *